Uncategorizedગુજરાતપાટણ
હારીજ. તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 ઓગસ્ટ ના રોજ હારીજ મામલતદાર કચેરી ખાતે કલેક્ટરશ્રી ની અધ્યક્ષતામાં યોજાશે
તા. ૨૫ ઓગસ્ટે યોજાશે તાલુકા કક્ષાનો 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ* *અરજદારો તા. ૧૦ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં સંબંધિત મામલતદાર કચેરીમાં અરજી કરી શકશે* પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા. *૨૫/૦૮/૨૦૨૬ (મંગળવાર)* ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાલુકા કક્ષાના 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત હારીજ તાલુકાનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટરશ્રી, પાટણના અધ્યક્ષપદે તથા શંખેશ્વર તાલુકાનો સ્વાગત કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, પાટણના અધ્યક્ષપદે સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાશે. જ્યારે રાધનપુર, સિદ્ધપુર, પાટણ (શહેર), ચાણસ્મા, પાટણ (ગ્રામ્ય), સમી, સાંતલપુર તથા સરસ્વતી મામલતદાર કચેરીઓ ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ સંબંધિત તાલુકાના લાયઝન અધિકારીશ્રીના અધ્યક્ષપદે યોજાશે. તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ કરવાના પ્રશ્નોની અરજીઓ અરજદારોએ બે નકલમાં, જરૂરી પુરાવા સાથે સંબંધિત મામલતદારશ્રીને તા. ૧૦/૦૮/૨૦૨૬ સુધીમાં મોકલી આપવાની રહેશે. અરજીના મથાળે "તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી" એમ સ્પષ્ટ લખવાનું રહેશે તેમજ અરજીમાં મોબાઇલ નંબરનો ઉલ્લેખ કરવો જરૂરી રહેશે. એક અરજીમાં માત્ર એક જ પ્રશ્ન રજૂ કરી શકાશે. આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી સંબંધિત પ્રશ્નો, કોર્ટમાં કેસો ચાલુ હોય તેવા પ્રશ્નો, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતો તેમજ અગાઉ સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નો ફરીથી સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત પ્રથમવાર સીધી રજૂઆત કરવાના પ્રશ્નો પણ આ કાર્યક્રમ હેઠળ સ્વીકારવામાં આવશે નહીં.
